આમ તો હું પોઝીટીવ થીન્કીન્ગમાં માનું છુ ,પણ.................
પણ ઘણીવાર એવું લાગે છે કે કોઈ પોઝીટીવ થીન્કીન્ગને ‘પોઝીટીવલી’ લેતું જ નથી. બસ સવાર-બપોર-સાંજ મરણીયા થઈને ‘ઓલ ઇઝ વેલ’નું ગાણું ગાયા કરવાનું. એટલે પ્રોબ્લેમ સોલ્વ .
લ્યો કરો વાત ! પોઝીટીવ ગાણા ગાવાથી બધું ‘વેલ’ થઇ જતું હોત તો એવા ગીતો ગાનારા આ દુનિયામાં સૌથી વધુ સુખી હોવા જોઈતા હતા ! ઉંધુ ઘાલીને લાઈબ્રેરીમાંથી ‘જીવનને હકારાત્મકતા તરફ લઇ જતા પુસ્તકો’ ઉઠાવીને ઘરે લઇ આવનારા લોકોને કેમ કરી સમજાવવું કે જો વાંચી વાંચીને સુધરી જવાતું હોત તો શહેરની સીટી બસોની પાછળ લખેલા સ્લોગનોની મહેનત માથે ના પડી હોત
‘જેની જીભમાં અમી, એને દુનિયા નમી.’ એવું વાંચવા છતાંય આપણી જીભે કડવા શબ્દો કેમ આવી જાય છે ?
હશે હવે ! હોય એતો ચાલ્યા કરે .જે વંચાય એ વેચાય ......એ ન્યાયે આવા પુસ્તકો છપાતા રહેશે, અને લઘુતાગ્રંથીથી પીડાતા લોકો એમાં લખાયેલા અઘરા અઘરા ઉપાયો અજમાવી સુખી થવા હવાંતિયા માર્યા કરશે. પહેલા જે કામ ધર્મગુરુઓ અને સંતો કરતાં હતા, એ કામ હવે ‘માઈન્ડપાવર ગુરુ’ઓ કરે છે, વાક્ચાતુર્યથી ભરેલી વન લાઇનર્સનાં વાવાઝોડામાં સામાન્ય માણસની સમજ તો ક્યાંય ફંગોળાઈ ગઈ છે .
હકીકતે આ પોઝીટીવ થીન્કીંગ એ સમજવા જેવી નહિ ,અનુભવવા જેવી ચીજ છે , જેમ સ્કુલમાં આપણને જયારે કોઈ થીયરી આવડતી નહિ ત્યારે જખ મારીને ગોખી કાઢતા .પરીક્ષા પૂરતું યાદ રાખીને ભૂલીયે જતા, પણ જે પાઠ આપણા ગમતા શિક્ષકે રમતા રમતા ઊંડાણપૂર્વક શીખવાડેલું ,એ આજેય તાદૃશ્ય યાદ છે ! બસ એજ રીતે જીન્દગીનાં સુખ-દુઃખને એમની રીતે પસાર થવા દેવા જોઈએ .આપણી નક્કી કરેલી ફ્રેમમાં જિંદગીને જકડી રાખવાની મથામણમાં થાકી જવાશે .
સાહજિકતા એ હળવાશભરી જિંદગીની પહેલી શરત છે. એમાં નરી હકારાત્મક્તાના ડોઝ નથી કામ આવતા.
સફળ થવા માટે હકારાત્મકતાના નામે હા એ હા કરનારાઓ એ એક વાત સમજવા જેવી છે કે , જેમ ચેસની રમતમાં દરેક કુકરીની દરેક સંભવિત ‘ચાલ’ને સ્વીકારીને આગળ વધવાનું હોય છે , એમ જીવનમાં પણ દરેક નિર્ણયનું સારામાં સારું અને ખરાબમાં ખરાબ પરિણામ ધ્યાનમાં રાખીને જો કામ કરવામાં આવે તો ભલે કદાચ સફળ ના થવાય તોય આપણો અનુભવ તો સમૃદ્ધ બનશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી.
એવે વખતે સ્વીકારી લીધેલું ‘સંભવિત’ ખરાબ પરિણામ એટલે જ ‘નેગેટીવ થીન્કીંગ’ ...........
જે હંમેશા આપણને શેખચલ્લી બનતા અટકાવે છે .આપણી મર્યાદાઓનો સ્વીકાર અને ઈશ્વરની સર્વોપરિતાની ખાતરી એટલે નેગેટીવ થીન્કીંગ
‘ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ ફેલાવાય’ એવી ટુંટીયાછાપ માનસિકતાને હું જરાય સમર્થન નથી આપતી .દરેક વ્યક્તિને એનામાં રહેલી કોઈક આશા જીવાડતી હોય છે . ૭ બાય ૭ ની ઓરડીમાં રહેતા મજુરને પણ ૭ માળના બંગલાના સપના જોવાનો હક છે . શ્રદ્ધા , આશા , ચમત્કાર જેવા શબ્દો આપણી જીન્દગીમાં સંજીવની જેવું અદભૂત કામ કરે છે ! પણ જેમ ધ્યેયલક્ષી પુરુષાર્થ વ્યક્તિને પોઝીટીવ બનતા શીખવે છે ,એમ નુકશાન અને નિષ્ફળતાનો સરવાળો માંડીને કરેલું સાહસ માણસને નેગેટીવ બનતા શીખવે છે , પાણી પહેલા પાળ બાંધતા શીખવે છે , જે વ્યક્તિ નુકશાનથી બચવાના ઉપાયો વિચારીને આગળ વધે છે એ ભાગ્યે જ નિષ્ફળ જાય છે .સતત હકારાત્મક રીતે વિચાર્યા પછી મળતી નિષ્ફળતા જીરવવી અઘરી હોય છે,પરંતુ...પહેલેથી જ છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિને સ્વીકારીને જ આગળ વધીએ તો ?
જોરકા ઝટકા ધીરેસે લગેગા !